આ વિડીઓમાં સંધિવાના દર્દમાં વ્યક્તિના હાથ-પગના ઢીંચણ-કોણી, ખભાનો દુખાવો વિશેની માહિતી છે આયુર્વેદમાં વાયુદોષથી 80 જાતના વાતવિકારો દર્શાવ્યા છે. તેમાંનો એક વિકાર એટલે સંધિવા. જેને અંગ્રેજીમાં આર્થાઈટિસ કહેવાય છે. શરીરના સાંધાઓ (જોઈન્ટ્સનો) વા એટલે સંધિવા. જેમાં હાડકાંની વચ્ચે રહેલું લ્યુબ્રિકેન્ટ ઓછું થઈ જતાં સાંધાઓ જકડાઈ જાય છે. જેથી વ્યક્તિને હલનચલન કરવામાં તકલીફ થાય છે. અમદાવાદના પ્રાર્થના ક્લિનિકના આયુર્વેદિક ડો. પ્રાર્થના મેહતા જણાવી રહ્યાં છે સંધિવાના કેટલાક સચોટ ઉપાયો. સંધિવાના કારણો આયુર્વેદમાં સંધિવાનું મુખ્ય કારણ વાયુદોષ જણાવેલ છે. જ્યારે આધુનિક વિજ્ઞાન મતે રક્તમાં અમ્લતા (ખટાશ), એસિડિટી વધવાથી શરીરમાં અમ્લતા વધે છે અને તેના કારણે હાડકાઓના સાંધાઓમાં સોજો, અક્કડતા અને દુખાવો થાય છે. લક્ષણો સંધિવાના દર્દમાં વ્યક્તિના હાથ-પગના ઢીંચણ-કોણી, ખભા જેવા મોટા સાંધાઓમાં કે નાના-નાના સાંધાઓમાં સોજો આવી જાય છે. દર્દીને હલનચલન કરવામાં તકલીફ થાય છે. આ સમસ્યા પગમાં વધુ જોવા મળે છે. આ તકલીફ રાતે, ઠંડીમાં અને ચોમાસામાં વધુ થાય છે. સંધિવા માટેના ઉપાયો સંધિવાની સારવારમાં ધીરજની જરૂર હોય છે. સંધિવાના દર્દીઓએ ઠંડા પવન અને ઠંડા પાણીથી દૂર રહેવું. આયુર્વેદમાં વાયુનાશક એરંડિયું સંધિવામાં ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠમાં ઉકાળા સાથે એરંડિયું વૈદ્યકિય સલાહ મુજબ લેવું. એરંડિયું સાંધાઓ જકડાઈ ગયા હોય ત્યાં પહોંચીને તેને છૂટા પાડવાનું કામ કરે છે. વિરૂદ્ધ આહાર ન ખાવો. તેનાથી લોહીમાં અમ્લતા વધે છે અને સાંધાઓ જકડાઈ જાય છે. મહાયોગરાજ ગુગળની 2-2 ગોળી ભૂકો કરીને મહારાગ્નાદિકવાથ સાથે લેવી. નિર્ગુન્ડી તેલ, પંચગુણ તેલ, મહાવિષગર્ભ તેલ, ધતુરાનું તેલ વગેરે જેવા વાતનાશક તેલની માલિશ કરવાથી સંધિવાના રોગમાં ફાયદો થાય છે. સંધિવામાં થોડું હલનચલન કરતાં રહેવું. સાવ નિષ્ક્રિય ન રહેવું, જેથી સાંધાઓ એકદમ જકડાઈ ન જાય. સંધિવામાં શું ખાવું અને શું ન ખાવું વાના દર્દીએ પાણીને ઉકાળીને ઠંડુ કરીને પીવું. ચોમાસામાં તો ખાસ ઉકાળ્યા વિના પાણી પીવું જ નહીં. રોજ દૂધ પીવું. હળવો-સુપાચ્ય ખોરાક ખીચડી, બાજરો, જવ, રાબ, ગોળ, આદુ, મરી, લસણ, મેથી, સૂંઠ, પીપર, તજ, કોથમીર એરંડિયું લઈ શકાય છે. આમલી, કોકમ, છાશ, દહીં, લીંબુ, ભારે ખોરાક, મીઠાઈઓ વગેરે ન ખાવા. કબજિયાત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. તમાકુ, દારૂ જેવા વ્યસન છોડી દેવા. ઢીંચણની પીડા હોય ત્યારે પલાંઠી વાળીને કે ઉભડક બેસવું નહીં. સ્ત્રોત: હેલ્થ ડેસ્ક, દિવ્યભાસ્કર