ઓબેસિટી એટલે કે મેદસ્વીતા ઘણા બધા રોગોનું મુળ કારણ છે. વધુ પડતી ચરબી શરીરના અલગ અલગ ભાગમાં ભેગી થઈ અને જે તે અવયવનું કામ બગાડી નાખે છે. આજના જંકફૂડ અને કોલ્ડડ્રિન્ક્સના જમાનામાં જાણે ઓબેસિટીનો એપિડેમિક ફાટ્યો છે. આપણું પાચનતંત્ર મેદસ્વીતા થવામાં અગત્યનો ભાગ ભજવે છે. પાચનતંત્રમાંથી ઘણા બધા હોર્મોન્સ નિકળે છે જે ભૂખને કંટ્રોલ કરવામાં તથા ઈન્સ્યુલિનના સિક્રિશનમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. પેટમાંથી નિકળતો પિત્તરસ અને પેટમાં રહેલો આંતરડાના નોર્મલ બેક્ટેરિયા (ફ્લોરા) પણ વજનનો કંટ્રોલ કરવા માટે અગત્યના છે. GERD (એસીડીટી) અને ઓબેસિટી કમરના ભાગમાં વધુ પડતી ચરબી જમા થઈ જવાથી પેટમાં દબાણ વધે છે તેથી અન્નનળી અને જઠરની વચ્ચે આવેલો વાલ્વ ઢીલો થઈ જતા રિફલક્સની બીમારી ઊભી થાય છે. આમ વધુ પડતી ચરબી એસીડીટીનું કારણ બને છે. જો આ રિફલક્સ લાંબો સમય ચાલે તો કોઈ વખત અન્નનળીમાં ચાંદાથી માંડીને કેન્સર જેવી ગંભીર બીમારી નોતરી શકે છે. ઓબેસિટી અને પેટના ચાંદા (gastritis/gastric ulcer) વધુ પડતી ચરબીના કારણે પેટની નસો સૂકાઈ જતા પેટનું તથા આંતરડાંનું હલનચલન ઓછું થઈ જાય છે. આમ થવાથી પેટમાં ખાધા પછી ભાર લાગવો, વધુ પડતો ગેસ નીકળવો, ઊલટી-ઉબકા જેવી સમસ્યાઓ પેદા થાય છે. ઘણી વખત h pylori નામના ઈન્ફેક્શન અને ચરબીના સમન્વયથી પેટના ચાંદા તથા કેન્સરનું કારણ બની શકે છે. મોટા આંતરડાના રોગો અને મેદસ્વીતા કબજિયાત (કોન્સ્ટિપેશન) ની તકલીફ એ ઓબેસિટીમાં જોવા મળતી કોમન તકલીફ છે. અસલમાં જોવા જઈએ તો કબજિયાત એ લાઈફસ્ટાઈલ અને ખાવાની આદત સાથે સંકળાયેલી સમસ્યા છે. ઓબેસિટીના લીધે આંતરડામાં diverticulosis અને પોલીપ (નાનકડી ગાંઠો) ની બીમારી થાય છે. જો પોલીપની સમયસર દવા ન થાય તો તેમાંથી કેન્સર જેવા ખતરનાક રોગો થઈ શકે. આમ ઓબેસિટી આંતરડાંના કેન્સર સાથે સીધો સંબંધ ધરાવે છે. ઓબેસિટી અને લીવર તથા પિત્તાશયના રોગ પિત્તાશયમાં થતી પથરીઓ મુખ્યત્વે મેદસ્વી લોકોમાં જોવા મળે છે. મેદસ્વીતાના કારણે લોહીમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધવાથી ડાયાબિટીસ થવાની શક્યતાઓ વધે છે. આ વધારાની ફેટ પિત્તાશયમાં પથરી બનાવે છે તે જ રીતે વધારાની ચરબી લીવરમાં જમા થતા લીવરમાં નોન આલ્કોહોલિક હિપેટાઈટિસ તથા સિરોસિસ જેવી ગંભીર બીમારીઓને નોતરે છે. લીવર સિરોસિસની યોગ્ય સમયે દવાઓ ન થાય તો તે કેન્સરમાં પરિણમી શકે છે. આ સિવાય પણ પેટમાં થતી ઘણી બીમારીનું મુળ મેદસ્વીતા છે. આમ મદસ્વીતા પેટના ઘણા રોગો તથા કેન્સર નોતરી શકે છે. મેદસ્વીતાનો નાશ કરીને આ રોગોને અટકાવવામાં જ સમજદારી છે. સ્ત્રોત: ડૉ.કૈવન શાહ(ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ), નવગુજરાત સમય