અસ્થમા(દમ)થી પીડાતા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે અને છેલ્લા દસકામાં તેની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. દમ એ શ્ર્વસનતંત્રને અસર કરતી બીમારી છે. શ્વસન માર્ગમાં સોજો આવવા ને કારણે તે શ્વાસનળી સંકોચાય છે અને નાના નાના શ્વાસ લેવા પડે છે. છાતીમાં ખેંચાણ જેવો અનુભવ થાય છે, શ્વાસ ફૂલવા લાગે છે અને વારવાર ખાંસી આવે છે. આ બીમારી કોઈપણ વયની વ્યક્તિને થઈ શકે છે. શ્ર્વાસનળીમાંથી મ્યુકસ (અતિચીકણો પદાર્થ)બહાર આવે છે અને નળીમાં અવરોધ પેદા કરે છે. અસ્થમા વિશે આપણાં સમાજમાં ઘણી ખોટી માન્યતાઓ પણ પ્રવર્તે છે. જેમકે, તે એક પ્રકારની એલર્જી છે. શરદપૂનમની રાત્રે ખીર પીવાથી દમ મટે છે, માછલીસાથે દવા સાથે લેવાથી દમ મટે છે, દમ એ ચેપી રોગ છે અને દમને કાબુમા ન રાખી શકાય, દમ ની દવા નિયમિત લેવામાં આવે તો ટેવ પડી જાય. અસ્થામા માટે લેવાતો પમ્પ એ આખરી ઉપાય છે. આવી અનેક ભ્રામકતાઓને કારણે દમની બીમારી દર્દી માટે વધારે નુક્સાનકારક બની જાય છે. બાળપણમાં આ રોગ સામાન્ય શરદી, ઉધરસથી શરૂ થાય છે. વારંવાર ખાંસી આવવી જેમાં સામાન્ય ઉપચાર કરવા છતા ફરક ન પડવો, રોગનું ચોક્કસ કારણ ન પકડાવું, પુખ્ત ઉંમરે થતાં દમમાં દર્દીની આસપાસનું વાતાવરણ મુખ્ય ભૂમિકા ભજવે છે. દમના હુમલા વખતે દર્દીને શ્વાસ લેવામાં તકલિફ પડે છે. શ્વાસોચ્છવાસમાં તીણો અવાજ આવે છે. છાતીના સ્નાયુઓ પર વધારે ભારણ લાગે છે. શ્ર્વાસનળીમાં અવરોધ ઉભો થતાં ફેફસાં દ્વારા લોહીમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ જતો નથી. ઈન્ડસ્ટ્રીયલ વાતાવરણ જયાં હોય ત્યાં કામ કરતા કામદારો અને સ્ટાફને દમ થવાની શક્યતા વધી જાય છે. જેમકે, કાપડની મીલોમાં રૂ ની ઝીણી રજકણો શ્ર્વાસનળીમાં જવાથી વ્યક્તિને બીસીનોસીસ નામનો દમને મળતો રોગ થાય છે. આ સિવાય કૅમિકલ ફેક્ટરીઝમાં ફેલાતા કેમિકલની વાસ, સિમેન્ટ, બેકરી, રંગ-રોગાન, સૌંદર્ય-પ્રસાધનો બનાવતી કંપનીઓ વિગેરેમાં કામ કરતા કામદારો માટે પણ જોખમ વધારે રહે છે. કોલસા અને પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારો માટે પણ લાંબાગાળે દમ જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય અસ્થમાનો રોગ વારસાગત કારણોથી પણ થઈ શકે છે. વારંવાર સુકી ખાંસી અને સસણીના હુમલા થાય અને વિષાણુજન્ય રોગો અને એલર્જી શ્વાસમાં જવાથી તેની તીવ્રતા વધી જાય છે. ઘણી વખત સુકી ખાંસી દમનું એકમાત્ર ચિહ્ન હોય છે. જો ઉપરોક્ત ચિહ્નો જણાય તો યોગ્ય તપાસ કરાવી સમયસર સારવાર લેવી ખૂબ જરૂરી છે. અસ્થમાના નિદાન અને યોગ્ય તપાસ માટે સ્પાયરોમેટ્રી રિપોર્ટ, છાતી અને સાયનસનો એક્સ-રૅ, લોહીમાં શ્વેતકણોનું પ્રમાણ વિગેરેમા તપાસ કરવામાં આવે છે. શ્વાસની કસરત મદદરૂપ બની શકે છે શ્વાસની કસરત કે જેમાં ઉચ્છવાસ દરમિયાન ઉદરપટલ અને પેટના સ્નાયુઓનો સક્રિય ઉપયોગ થાય તો તે મદદરૂપ છે અને ફેફસાંની ક્ષમતા ટકાવી રાખવામાં લાભદાયક છે. ઉંડો શ્વાસ લેવો, બન્ને હોઠને સાથે સંકોચીને જોરથી ફૂંક મારવી, જેનાથી ફેફસાંની હવા બહાર ધકેલાય છે. જો અનુકૂળતા હોય તો ફુગ્ગો ફુલાવવો, પેટ વડે શ્વાસની કસરત જેમકે નાભિ પર વજન આપી શ્વાસ લેવો, યોગ્ય પધ્ધતિથી પ્રાણાયામ કરવાથી શ્વસનમાર્ગના સ્નાયુઓ ને મજબૂતી મળે છે. દમના લક્ષણો ટાળવા માટે ખાસ સૂચનો ઘરમાં હવા સ્વચ્છ અને તાજી રહે તે માટે ધૂપ-અગરબત્તી, રસોડાનો ધૂમાડો, કોલસો, કેરોસીન, લાકડું બાળતી વખતે થતો ધુમાડો વિગેરેને શ્વાસમાં જતો અટકાવવો જોઈએ અથવા આવા સંજોગોમાં ઘરના બારી-બારણાં તુરત ખોલી દેવા જોઈએ. ઘરની બહાર હવાનું પ્રદુષણ, જાહેરમાં કચરો બાળવાથી થતો ધુમાડો, ફેક્ટરીમાંથી નિકળતો ગેસ, વંટોળ, વાવાઝોડું, ડમરી, ઘાસ-ઝાડ કે છોડની પરાગરજથી બચવા બારી-બારણાં બંધ રાખો. અસ્થમાથી પીડાતા વ્યક્તિ જે રૂમમાં સૂતા હોય ત્યાં સ્વચ્છતા રાખવી, ગાલીચા કે કાર્પેટ ન રાખવા, ઓછું ફર્નિચર રાખવું, પાલતુ પ્રાણીઓ ન રાખવા, ગાદલાં કે ઓશીકા પર ડસ્ટપ્રુફ કવર રાખવા, બીછાના-ચાદર, ધાબળા અવાર-નવાર ગરમ પાણીમાં ધોવા અને તડકે સુકવવા. ધુમ્રપાન કે અન્ય કોઈ બીજી વાસ ન આવવા દેવી. અસ્થમાના દર્દી ઘરમાં હાજર ન હોય તે સમય દરમિયાન રૂમની સફાઈ, વેક્યુમ ક્લિનીંગ, પોતા કરવા, રંગકામ, દવાનો છંટકાવા, બારી-બારણાં ખોલી ઘરમાંથી હવા બહાર નિકળવા દેવી વિગેરે કામ કરી લેવા જોઈએ. જો આ કામ અસ્થમાના દર્દી દ્વારા કરવામાં આવે તો માસ્ક અથવા સ્કાર્ફનો અવશ્ય ઉપયોગ કરવો. જો વ્યવસાયના સ્થળે યોગ્ય વાતાવરણના અભાવે અસ્થમાનો હૂમલો આવતો હોય ડૉક્ટરની યોગ્ય સલાહ-સુચનોનું પાલન કરવું જોઈએ. જો વ્યાયામ કરવાથી શ્વાસ ફુલતો હોય તો વ્યાયામ પૂર્વે ઈન્હેલર અને ડૉક્ટરે સૂચિત કરેલ નિર્દેશોનું પાલન કરવું જોઈએ. જમવામાં પેટ ભરીને ખોરાક લેવાને બદલે સમયાંતરે થોડું-થોડું જમવું જોઈએ. સાંજે વહેલા જમી લેવું જોઈએ. વાસી, આથાવાળો, તીવ્ર વાસ વાળો, ખૂબ ખાટો આહાર, ફૂડ કલર, ફૂડ પ્રિર્ઝવેટીવ વિગેરે લેવાનું ટાળવું જોઈએ. નિયમિત સુપાચ્ય અને પોષણ યુક્ત આહાર લેવોનો આગ્રહ રાખવો જોઈએ. અસ્થામાની સારવાર માટે આસપાસના વાતાવરણનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ધૂળ, ધુમાડો, બંધિયાર વાતાવરણ વિ. થી સાચવવું. માળિયામાં કે ઘણા સમયથી બંધ રૂમમાં તરત ન જવું. પંખા નીચે રહેવાનું ટાળવું. સખત ગરમી, સખત ઠંડી, વરસાદ-વાવાઝોડું કે ધૂળની ડમરી વિગેરેથી સાચવવું. નવા રંગ-રોગાન કરાયેલા ઘરમાં થોડા દિવસ રહેવા જવાનું ટાળવું. શ્વાસની કસરત ડૉક્ટરના જણાવ્યા અનુસાર નિયમિત કરવી. તાવ, શરદી, કફ વિગેરે માટે ડૉક્ટર પાસે જવામાં વિલંબ કરવો નહીં. શ્રમ-કસરત કરવાથી શ્વાસ ચડતો હોય તો ડૉક્ટર પાસેથી માર્ગદર્શન લેવું. સ્ત્રોત: ડૉ. મુકેશ પટેલ. શ્વસન અને ફેફસાંના રોગોના નિષ્ણાત