એક્યુટ કિડની ફેલ્યર એટલે શું? સંપુર્ણપણે કામ કરતી બને કિડની અમુક કારણસર એકાએક નુકસાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે તેંને એક્યુટ કિડની ફેલ્યર અથવા એક્યુટ કિડની ઇન્જરી અથવા એક્યુટ રીનલ ફેલ્યર – એ.આર.એફ. કહે છે. એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણો એક્યુટ કિડની ફેલ્યર થવાના કારણો નીચે મુજબ છે. કિડનીને લોહી ઓછું મળવું: વધુ પડતું લોહી વહી જવું,અથવા લોહીના દબાણ મા કોઈ કારણસર એકાએક ઘટાડો થવો. લોહીમાં સખત ચેપ (Septicemia) અથવા અમુક જીવલેણ બીમારી અને અમુક મોટા ઓપરેશન પછી . પથરી ને કારણે મુત્રમાર્ગમાં અવરોધ ઉભો થયો હોય . આ ઉપરાંત અન્ય કારણો માં પેશાબનો ગંભીર ચેપ,ખાસ પ્રકારનો કિડનીનો સોજો. (Glomerulonephritis). સ્ત્રીઓમાં સુવાવડ વખતે લોહીનું ઊંચું દબાણ કે વધુ પડતું લોહી વહી જવું , શરીર માં ઝેરી (ફેલ્સીફેરમ) મેલેરિયા થયો હોય, કેટલીક દવાની આડઅસર,સર્પદંસ, સ્નાયુને વધુ પડતા નુક્શાન થી બનતા ઝેરી પદાર્થોની કિડની પર આડ અસર વગેરે નો સમાવેશ થાય છે. દવાના કારણે અમુક ખામીવાળા (G6PD Deficency) રકતકણો તૂટી ગયા હોય. આવી ખામી પારસી,ભણસાળી અને લોહાણા જ્ઞાતિ માં વધુ જોવા મળે છે. આ રોગમાં સંપૂર્ણ તંદુરસ્ત કિડનીની કાર્યક્ષમતામાં ઝડપથી, ટૂંકા સમય માટે ઘટાડો થાય છે. એક્યુટ કિડની ફેલ્યરના ચિહનો : એક્યુટ કિડની ફેલ્યર મા કિડનીની કાર્યક્ષમતામા ટૂંકા સમય મા ઘટાડો થતા લોહીમાં બિનજરૂરી પદાર્થો અને પ્રવાહીની માત્રામા ખુબજ ઝડપથી વધારો થાય છે.અને ક્ષારની માત્રામા ઝડપથી ફેરફાર થાય છે. આ પ્રકારના કિડની ફેલ્યરમાં સંપૂર્ણ કામ કરતી કિડની ટૂંકા સમયમાં ઝડપથી બગડી જતા રોગના ચિહનો વહેલા અને વધુ પ્રમાણ માં જોવા મળે છે.આ ચિહનો જુદા જુદા દર્દીઓમાં અલગ અલગ પ્રકારના તથા વધારે કે ઓછી માત્રામાં હોઈ શકે છે. જે કારણસર કિડની બગડી હોય તેના ચિન્હો સાથે જોવા મળે છે (ઝેરી (ફેલ્સીફેરમ) મેલેરિયા માં તાવ ટાઢ લાગવી, વધુ પડતું લોહી વહી જવું) પેશાબ ઓછો થઇ જાય કે બંધ થઇ જાય. આ રોગ ના અમુક દર્દીઓમાં પેશાબની માત્રા સામાન્ય હોય છે. શરીર મા પ્રવાહીનું પ્રમાણ વધી જતા મો, પગ, પર સોજા આવવા, વજનમા વધારો થવો અને શ્વાસ વધવાની ફરિયાદ જોવા મળે છે. .ભૂખ ઓછી લાગે, ઉલટી-ઉબકા થાય, હેડકી આવે નબળાઈ આવે, ઘેન રહે, યાદશક્તિ ઘટી જાય. તીવ્ર જીવલેણ ચિન્હો જેમ કે શ્વાસ વધવાની ફરિયાદ, છાતી માં દુખાવો, તાણ-આંચકી, અથવા કોમા, લોહી ની ઉલટી થાય અને પોટેશિયમના પ્રમાણમા વધારા ને કારણે એકાએક હ્રદય બંધ થઇ જાય. એક્યુટ કિડની ફેલ્યરના શરૂઆત ના તબક્કામાં કેટલાક દર્દીઓમાં ચિહનો જોવા મળતા નથી અને લોહીની તપાસ કરાવતા અચાનક કિડની ઓછું કામ કરે છે તેનું નિદાન થાય છે. કિડની બગડવાના જવાબદાર કારણો અને કિડની ફેલ્યર બને ને કારણે દર્દીમા ચિહનો જોવા મળે છે. એક્યુટ કિડની ફેલ્યર નું નિદાન : જયારે દર્દીના રોગને કારણે કિડની બગડવાની શક્યતા હોય અને સાથે ના ચિહનો પણ કિડની ફેલ્યર ના હોવાની શંકા ઉભી કરે ત્યારે તરત લોહીની તપાસ કરાવી લેવી જોઈએ. લોહીમાં ક્રીએટીનીન અને યુરિયાનું ઊંચું પ્રમાણ એક્યુટ કિડની ફેલ્યર સૂચવે છે. આ ઉપરાંત પેશાબની, લોહીની અન્ય તપાસ તથા સોનોગ્રાફી વગેરે તપાસ દ્રારા કિડની ફેલ્યરના કારણ અને કિડની ફેલ્યરની અન્ય આડ અસર વિશે માહિતી મળી શકે છે. એક્યુટ કિડની ફેલ્યર અટકાવવાના ઉપાયો : ઝાડા-ઉલટી , ઝેરી મેલેરિયા જેવા કિડની ફેલ્યર કરી શકે તેવા રોગોનું વહેલું નિદાન અને સારવાર. આ રોગ ની તકલીફ હોય તેવા દર્દીએ પાણી વધારે પીવું. પેશાબ ઓછો થાય તો તરત જ ડોક્ટરને જાણ કરવી. કિડની ને નુકસાન કરી શકે તેવી દવા ન લેવી. એક્યુટ કિડની ફેલ્યરમાં કિડની કેટલા સમયમાં ફરી કામ કરતી થઇ જાય છે? યોગ્ય સારવાર થી ફક્ત ૧ થી ૪ અઠવાડિયામાં જ મોટા ભાગના દર્દીઓની કિડની ફરીથી સંપુર્ણપણે રાબેતા મુજબ કામ કરતી થઇ જાય છે.આવા દર્દીઓને સારવાર પૂરી થયા બાદ કોઈ પણ દવા કે ડાયાલિસિસ ની જરૂર રહેતી નથી. પરંતુ એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં અયોગ્ય સારવાર અથવા સારવાર લેવામાં મોડું જીવલેણ બની શકે છે. એક્યુટ કિડની ફેલ્યરની સારવાર: આ રોગમાં સમયસરની યોગ્ય સારવાર નવું જીવન આપી શકે છે તો બીજી તરફ સારવાર ન મળે તો આવા દર્દી ટૂંકા ગાળામાં મૃત્યુ પણ પામી શકે છે. આ રોગ માં બગડી ગયેલી બને કિડની યોગ્ય સારવાર વડે સંપૂર્ણ રીતે કામ કરતી થઇ જાય છે. એક્યુટ કિડની ફેલ્યરની સારવાર નીચે મુજબ : જવાબદાર રોગની સારવાર ખોરાકમાં પરેજી દવા દ્વારા સારવાર ડાયાલિસિસ જવાબદાર રોગની સારવાર : એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડની બગાડવા માટે જવાબદાર રોગની સારવાર કરવી અત્યંત મહત્વની છે. કિડની ફેલ્યર ના કારણ મુજબ ઝાડા-ઉલટી કે ઝેરી મેલેરિયાને કાબુમાં લેવા યોગ્ય દવા, રકત કણો તૂટી ગયા હોય ત્યારે નવું લોહી અને લોહીમાંના ચેપને કાબુમાં લેવા ખાસ એન્ટીબાયોટીક્સ આપવામાં આવે છે. પથરી ને કારણે પેશાબના માર્ગમાં અવરોધ હોય ત્યારે દૂરબીન દ્વારા કે ઓપરેશન દ્વારા જરૂરી સારવાર કરી અવરોધ દૂર કરવામાં આવે છે. આ પ્રકારની યોગ્ય સારવારથી નુકસાન પામેલી કિડનીને વધુ નુકસાન થતું અટકાવી શકાય અને કિડની ફરીથી કામ કરતી થઇ શકે છે. દવા દ્વારા સારવાર : દવા દ્વારા સારવાર નો હેતુ કિડની વધુ બગડતી અટકાવવી કિડનીના બગાડા મા સુધારો થવો અને કિડની બગડવાને કારણે થઇ શક્તિ તકલીફોને અટકાવવાનો અને સુધારવાનો છે. ચેપ ની સારવાર. કિડની ને નુકશાન કરે શકે તેવી દવાઓ ( ખાસ કરી ને દર્દશામક દવાઓ -NSAIDS) ન લેવી. આ રોગ માં યોગ્ય દવા દ્વારા વહેલી સારવારથી ડાયાલિસિસ વગર પણ કિડની સુધરી શકે છે. પેશાબ વધારવાની દવા : પેશાબ ઓછો થવાને કારણે થતા સોજા,શ્વાસ વગેરે પ્રશ્નને અટકાવવા અને તેની સારવાર માટે આ દવા મદદરૂપ બને છે. ઉલટી – એસીડીટીની દવાઓ : કિડની ફેલ્યરને કારણે થતા ઉલટી–ઉબકા અને હેડકીને કાબુમાં લેવા માટે આ દવાઓ ઉપયોગી થાય છે. અન્ય દવાઓ કે જે શ્વાસ ,આંચકી,લોહીની ઉલટી જેવી ગંભીર તકલીફમાં રાહત આપે. ખોરાકમાં પરેજી કિડની કામ ન કરવાથી જે આડ અસર અને તકલીફ થાય છે તેમાં રાહત માટે યોગ્ય પરેજી જરૂરી છે. પેશાબની માત્રાને ધ્યાનમાં લઇ પ્રવાહી ઓછું લેવું કે જેથી સોજા,શ્વાસ જેવી તકલીફ થતી અટકાવી શકાય. પોટેશિયમ ન વધે તે માટે ફળોના રસ,નારીયેળ પાણી,સુકા મેવા વગેરે ન લેવા.પોટેશિયમ વધે તો તે હ્રદય પર જીવલેણ આડઅસર કરી શકે છે. મીઠું (નમક -Salt) ઘટાડવાથી સોજા,શ્વાસ , વધારે તરસ,લોહીના દબાણ માં વધારો જેવા પ્રશ્નો કાબુમાં લઇ શકાય છે. ડાયાલિસિસ: એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં જ્યાં સુધી કિડનીની કાર્યક્ષમતા મા નોંધપાત્ર ઘટાડો હોય ત્યાં સુધી નિયમિત ડાયાલિસિસ કરવું જરૂરી છે.દર્દીની કિડની અને પેશાબની માત્રા મા સુધારો થવા લાગે અને કિડની ફેલ્યર ના કારણે થતી તકલીફો અને જોખમોમાં ઘટાડો થાય ત્યારે ડાયાલિસિસ ની જરૂરિયાત મા ઘટાડો થતો જાય છે. અને કિડનીમાં સુધારા સાથે થોડો સમય બાદ ડાયાલિસિસની જરૂર રહેતી નથી. ડાયાલિસિસ એટલે શું? કિડની કામ ન કરવાને કારણે શરીરમાં ભેગા થતા બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો અને વધારાના પ્રવાહી,ક્ષાર, અને એસિડ જેવા રસાયણો ને કૃત્રિમ રીતે દૂર કરવાની શુદ્ધિકરણની પધ્ધતિને ડાયાલિસિસ કહે છે. બંને કિડની સંપૂર્ણ બગડી ગઈ હોય ત્યારે આશીર્વાદરૂપી ડાયાલિસિસની મદદથી દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે. આ રોગ માં ડાયાલિસિસ નો વિલંબ જીવલેણ અને સમયસરનું ડાયાલિસિસ જીવનદાન આપી શકે છે. ડાયાલિસિસ ના બે પ્રકાર છે.પેરિટોનીઅલ અને હિમોડાયલિસિસ. ડાયાલિસિસ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા પ્રકરણ નં.૧૩ માં કરવામાં આવી છે. એકયુટ કિડની ફેલ્યર માં ડાયાલિસિસ ની જરૂરિયાત ક્યારે પડે છે ? એકયુટ કિડની ફેલ્યરના બધા દર્દીઓની સારવાર દવા તથા પરેજી દ્વારા કરવામાં આવે છે. પરંતુ જયારે કિડનીને વધુ નુકસાન થયું હોય ત્યારે આ બધી જ સારવાર કરવા છતાં રોગના ચિહનો વધતા જાય છે. જે જીવલેણ પણ બની શકે છે. શરીર મા સોજા ખુબજ વધી જવા, શ્વાસ ચડવો, ઉલટી ઉબકા થવા, લોહીમાં પોટેશિયમ ની માત્રામા જોખમી વધારો થવો વગેરે સંજોગોમાં સામાન્ય રીતે ડાયાલિસિસ કરવું જરૂરી બને છે.આવા દર્દીઓમાં સમયસર ડાયાલિસિસ ની સારવાર નવું જીવન બક્ષી શકે છે. એકયુટ કિડની ફેલ્યર માં ડાયાલિસિસ કેટલી વખત કરાવવું પડે? જ્યાં સુધી દર્દીની પોતાની કિડની ફરીથી કામ કરતી ન થાય ત્યાં સુધી ડાયાલિસિસ–કૃત્રિમ કિડની તરીકે કામ કરી દર્દીની તબિયત સારી જાળવવામાં મદદ કરે છે. કિડની સુધારવામાં ૧ થી ૪ અઠવાડિયાનો સમય લાગે છે.તે દરમ્યાન સામાન્ય રીતે અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે. એકવાર ડાયાલિસિસ કરાવવાથી વારંવાર કે હમેશા ડાયાલિસિસ કરાવવું પડે છે, તેવી ખોટી માન્યતા ઘણા લોકોમાં હોય છે. આ બીક ને કારણે ઘણા દર્દીઓ સારવાર માં મોડા પડતા હોય છે કેટલીક વાર એવું બને છે કે રોગ ની ગંભીરતા વધી ગઈ હોય તો ડોક્ટર કોઈ પણ સારવાર કરી શકે તે પહેલા જ દર્દી મૃત્યુ પામે છે. એક્યુટ કિડની ફેલ્યર થતા અટકાવવાના સૂચનો: જે કારણોસર કિડની બગડવાની શક્યતા રહે છે તેની વહેલી અને યોગ્ય સારવાર કરવી અને આવી તકલીફ હોય ત્યારે લોહીની ક્રીએટીનીન ની તપાસ કરાવવી. બીપી ઘટતું અટકાવવું અને બીપી ઓછું થાય ત્યારે તે વધે તે માટે ઝડપ થી પગલા લેવા. કિડની ને નુકશાન કરે તેવી દવાઓ ન લેવી. કોઈ પણ ચેપ ની યોગ્ય વહેલાસર સારવાર કરવી. આ રોગ માં ડાયાલિસિસની જરૂરીયાત થોડા દિવસો માટે જ પડે છે. સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન