વ્યક્તિનાં જીવનમાં બાળપણ સુવર્ણકાળ સમાન છે. આ તબક્કામાં બાળકોની જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ હોય છે. જીવનની શ્રેષ્ઠ ક્ષણો સાથે બાળપણમાં બાળકોને પુખ્તોની સરખામણીમાં રોગ થવાનું વધારે જોખમ હોય છે, કારણ કે તેમની રોગપ્રતિકારક ક્ષમતા વિકસતી હોય છે. વિકાસની સાથે આંશિક બીમારીઓ થાય છે અને આપણે એને ટાળી શકીએ એવા ચોક્કસ માપદંડો નથી. પણ બાળકોનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત સામાન્ય સમસ્યાઓની મૂળભૂત જાણકારી માતાપિતા આપી શકે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. અહીં આપણે બાળકોનાં સ્વાસ્થ્ય સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓનો પર નજર દોડાવીશું. શ્વાસોશ્વાસની સમસ્યાઓઃ બાળકોમાં સામાન્ય શરદી કે નાકમાંથી પાણી વહેવાની સમસ્યા અવારનવાર જોવા મળે છે (વર્ષે સરેરાશ 6થી 8 વાર શરદી) અને ઘણી વાર એને તાવ અને સ્નાયુમાં દુઃખાવા સાથે જોડવામાં આવે છે. શ્રેષ્ઠ સારવાર પ્રવાહીનું સેવન, સુવિધાજનક અને લક્ષણોને અનુરૂપ મેનેજમેન્ટ છે. દરેક કેસમાં એન્ટિબાયોટિકની જરૂર નથી. તાવ, કફ, શરદી અને ગળામાં દુઃખાવો/બળતરા શ્વસનનળીનાં ઉપલા ભાગમાં ઇન્ફેક્શન (ઉદાહરણ તરીકે ટોન્સિલાઇટિસ કે ફેરિન્જાઇટિસ)નો સંકેત છે. આ માટે ડૉક્ટરની સલાહ લઈને ઉચિત સારવાર શરૂ કરવી પડશે. ન્યૂમોનિયા અને અસ્થમા જેવી શ્વાસોશ્વાસની ગંભીર સ્થિતિ માટે ચોક્કસ સારવારની જરૂર છે. ગેસ્ટ્રોએન્ટરાઇટિસઃ આ આંતરડામાં ચેપ છે, જે ડાયરિયા અને ઊલટી તરફ દોરી જાય છે. મુખ્ય સારવાર પ્રવાહી, ખાસ કરીને ઓઆરએસ (ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન) અને ઝિંક સપ્લીમેન્ટેશન છે. જો બાળકને થોડું કે ગંભીર ડિહાઇડ્રેશન હોય, તો હોસ્પિટલમાં ભરતી થઈને કે ઘરેથી સારવારની જરૂર છે એનો નિર્ણય ડૉક્ટર લઈ શકે છે. કૃમિની પીડાઃ આ મળમાં કરમિયા, પેટમાં કળી ન શકાય એવો દુઃખાવો, પાચનક્ષમતા ગુમાવવી કે ગુદામાર્ગની આસપાસ ખંજવાળ તરીકે જોવા મળી શકે છે. બાળકો મુખમાં ગંદી આંગળીઓ રાખતા હોવાથી ઘણી વાર કરમિયા પડવાની શક્યતા છે. ડિવોર્મિંગ (એન્ટિ-પેરાસાઇટિક દવાઓ) સાથે અને સ્વચ્છતાની આદત વિકસાવવાથી સરળતાપૂર્વક એને દૂર કરી શકાય છે. મૂત્રનળીમાં ઇન્ફેક્શનઃ જ્યારે તાવ હોય, ત્યારે પેશાબમાં બળતરા થાય છે. મૂત્રનળીમાં ઇન્ફેક્શનનાં સંકેતોમાં પેટમાં દુઃખાવો અને ઊલટી, પેશાબમાં અંસુતલન, પીડા, એકાએક ઝડપથી પેશાબ લાગવો અને વારંવારે પેશાબ જેવું વગેરે સામેલ છે. એનું નિદાન ઉચિત યુરિન અને બ્લેડ ટેસ્ટ અને ઇમેજિંગથી થઈ શકશે . સારવાર માટે ઉપયોગી એન્ટિબાયોટિક્સ ઉપરાંત પર્યાપ્ત હાઇડ્રેશન, ટોઇલેટની ઉચિત તાલીમ, સંપૂર્ણપણે પેશાબ કરવો અને સ્વચ્છતા આ પ્રકારનાં એપિસોડને અટકાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોષક દ્રવ્યોની સમસ્યાઓઃ મોટા ભાગનાં માતાપિતાઓ પોષક દ્રવ્યોની વધતીઓછી સમસ્યાઓનો સામનો કરે છે. અગાઉ વિવિધ વિટામિન અને ખનીજ દ્રવ્યોની ખામીઓ માટે મુખ્યત્વે ‘અલ્પપોષણ’ સૂચવવા માટે ‘કુપોષણ’ શબ્દનો ઉપયોગ થતો હતો, પણ અત્યારે કુપોષણનાં અન્ય ઘટકો એટલે કે ‘મેદસ્વીપણું અને વધારે વજન’ બાળકોમાં નવા જોખમ તરીકે બહાર આવ્યાં છે. અતિ ભોજન અને પીકા (માટી, રંગ, પ્લાસ્ટિર વગેરે જેવા બિનખાદ્ય પદાર્થોનું સેવન) જેવી ભોજન સાથે સંબંધિત ચોક્કસ સમસ્યાઓ ઘણાં બાળકોમાં જોવા મળે છે. આ પ્રકારની સમસ્યાઓ ટાળવા અને એનું સમાધાન કરવા શરૂઆતથી સ્વાસ્થ્ય માટે ગુણકારક ભોજનની ટેવો વિકસાવવી જોઈએ. 6 મહિનાની વય સુધી ફક્ત સ્તનપાન કરાવવું, સમયસર ઉચિત પૂરક ભોજન અને સ્વાસ્થ્ય માટે ગુણકારક ઘરે બનેલાં ભોજનનાં સેવનને પ્રોત્સાહનથી નક્કર પાયો બને છે. આહાર સંતુલિત હોવું જોઈએ, જેમાં અનાજ-કઠોળ, ફળફળાદિ અને શાકભાજી, દાળ, દૂધ, ઇંડા, સૂકો મેવો સામેલ હોવો જોઈએ. ઉપરાંત વધુ પડતો આહાર અને કાર્બોનેટેડ બેવરેજીસનું સેવન, ચરબીયુક્ત આહાર અને જંક ફૂડ ટાળવું જોઈએ. બાળકોમાં સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા સ્ક્રીન ટાઇમ (ટીવી, મોબાઇલ) મર્યાદિત કરવો જોઈએ અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું પડશે. બાળકોમાં સ્વાસ્થ્યની જાળવણીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની પરિભાષા મુજબ, સ્વાસ્થ્ય “સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી છે, નહીં ફક્ત રોગ કે અશક્તિનો અભાવ.” આ પરિભાષાને ધ્યાનમાં રાખીને બાળકો માટે સ્વસ્થતા ઊભી કરવામાં કેટલીક બાબતો મદદરૂપ થઈ શકે છે. પોષણઃ ઉપર સમજાવ્યાં મુજબ, સંતુલિત ભોજનમાં કાર્બોહાઇડ્રેટ, ફેટ, પ્રોટિન, વિટામિન્સ અને મિનરલ્સ હોવા જોઈએ. પર્યાપ્ત હાઇડ્રેશન તમામ વયજૂથનાં બાળકોમાં જાળવવું જોઈએ. રસીકરણઃ રસી મૂકવાનાં નિયત સમય મુજબ બાળકને રસી મૂકાવવી જોઈએ. કોઈ પણ ચૂકી ગયેલા ડોઝને મૂકાવવા પીડિયાટ્રિશિન સાથે ચર્ચા કરી શકાશે. સ્વચ્છતાઃ નુકસાનકારક જીવજંતુઓ અને જીવાણુઓનાં સંક્રમણને ટાળવા હાથની સ્વચ્છતા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. યોગ્ય સ્વચ્છતા કૃમિ કે જીવજંતુના ઉપદ્રવનો ઘટાડો, ત્વચા અને કાનનાં ઇન્ફેક્શનમાં ઘટાડો પણ સુનિશ્ચિત કરે છે. નિયમિત સમયે સ્વાસ્થ્યની ચકાસણીઃ વિકાસ સાથે સંબંધિત બાબતોની સાથે વજન, ઊંચાઈ, બીએમઆઈ અને વૃદ્ધિનાં અન્ય માપદંડો પર નિયમિત સમયાંતરે ધ્યાન રાખવું જોઈએ અને જો કોઈ વિચલન જોવા મળે તો એને દૂર કરવું જોઈએ. બાળકો અને માતાપિતાઓમાં હેલ્થ કેરની મુલાકાતનો ઉપયોગ સારાં સ્વાસ્થ્યની જાણકારી મેળવવા અને એની સાથે સંબંધિત સારી આદતો ખીલવવા માટે કરવો જોઈએ સ્ત્રોત : ડો.ઉર્વશી રાણા(એમડી, પીડિયાટ્રિક્સ)