ચામડીનો રોગો :શરીરની ત્વચા પર દેખાતાં રોગોનાં ચિહ્નો કે જેમાં ખંજવાળ હોઈ શકે, બળતરા થતી હોય, ચામડી લાલ થઈ હોય, સૂજી જતી હોય, ચામડી ઉખડી જતી હોય, પાણી કે પરુ નીકળતું હોય, લોહી નીકળતું હોય વગેરે છે.આને માટે સોરાયસિસ, ખરજવું, શીળસ, સફેદ દાગ વગેરે જાણીતા શબ્દો છે. અમ્લપિત્ત: અમ્લપિત્ત એ આર્યુવેદનો શબ્દ છે, જેનાં લક્ષણો એસિડીટીને મળતાં આવે છે. ગેસ: આફરો ચડવો, પેટ ફૂલી જવું. Reflux : ના પચ્યો ન હોય એવો ખોરાક પિત્તને શરીર અન્નનળી વાટે બહાર ફેંકવાનો પ્રયત્ન કરે તે Reflux ગણાય છે જે લાંબા સમયના ગેસ- એસિડીટીની સારવાર નહીં કરાવવાથી થઈ શકે છે. અનિદ્રા: રાત્રે ઊંઘ ના આવવી અથવા વહેલી સવારે ૩-૪ વાગ્યે ઊડી જવી. ફરી વહેલી પરોઢે ઊંઘ આવે. તૂટક-તૂટક ઊંઘ આવે, ખૂબ વિચારો ચાલ્યા કરે, એવી ઊંઘ આવવી એટલે કે ગાઢ નિદ્રા ન આવવી, જેને કારણે આંખની આસપાસ કાળાં કુંડાળા, કરચલીઓ થઈ જવી. આખું શરીર દુ:ખ્યા કરે. ચીડ, ગુસ્સો: નાની અમથી વાતમાં ગુસ્સો આવી જાય. ઝઘડી પડે. રડી પડાય. આ લક્ષણો છે. આમ છતાં મૂળ કારણ તો કંઈક અલગ જ હોય છે. પરસેવાની દુર્ગંધ: ઘણા માણસોના પરસેવામાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોય છે. કોઈની નજીક જઈએ તો શરીરમાંથી થોડી વાસ આવતી હોય છે. એમનાં સફેદ કપડાંમાં આ ખરાબ પરસેવાને કારણે પીળા ડાઘા પડી જતા હોય છે. જૂ-લીખ: માથાના વાળમાં અવારનવાર જૂ-લીખ થઈ જતાં હોય તો એનું કારણ માત્ર અસ્વચ્છતા નથી. શરીરમાંના બગડેલા પિત્તથી પરસેવો બગડે છે અને અને કારણે માથાના વાળના મૂળ પાસે જૂ-લીખને પાંગરવાને, ટકી રહેવાને માટે અનુકૂળ સ્થાન મળી જાય છે. તજા ગરમી: શરીરમાં રહેલી અવ્યક્ત ગરમીને પણ તજા ગરમી કહી શકાય. રતવા, બાળકોના થવા હાથ-પગની ચામડી ઉખડવી, માત્ર હાથ-પગના તળિયે જ અતિશય પરસેવો થવો વગેરે તજા ગરમીને કારણે થાય છે. પાયોરિયા- મોંની દુર્ગંધ: તમારી જાણ બહાર લોકો તમારી બાજુમાંથી સામે બેસીને વાતો કરવાનું પસંદ કરે છે. આનું કારણ તમારા મોંમાંથી આવતી દુર્ગંધ હોઈ શકે છે. મોટે ભાગે દર્દી આ વાતથી અજાણ હોય છે. માત્ર, એના કુટુંબીજનો, કે નજીકના સગાને જ આ વાત ખબર હોય છે. દાંતના કે પેઢાના સડાને કારણે પાયોરિયા થઈ જાય છે. જેની ઉપેક્ષા શરીરને રોગોનું ઘર બનાવી શકે છે. તે પાયોરિયામાં પણ મોંમાંથી વાસ આવતી હોય છે. કબજિયાત અપચા, ગેસ વગેરેને કારણે પણ મોંમાંથી વાસ આવી શકે છે. ખીલ, કાળા દાગ- યુવાવસ્થાની શરૂઆતમાં મોં પર ખીલ થવાનાં ઘણાં કારણો હોય છે. પરંતુ મુખ્યત્વે તેમાં દોષ પિત્તનો હોય છે. કાળા દાગ, ખીલ તોડવાથી પણ થઈ શકે છે. લોહીની અશુધ્ધિ : ઉપર્યુકત તમામ ચિહ્યોનું મૂળ રકતની અશુધ્ધિ છે. રક્તને દૂષિત કરવામાં વાયુ, પિત અને કફ ત્રણેય દોષો કારણભૂત હોઈ શકે. લોહીમાં ઉષ્ણગુણ છે. આથી વાયુ અને કફને કારણે લોહી દૂષિત થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પણ પિત્તનો ગુણ ઉષ્ણ હોવાથી પિત્તને કારણે રક્તદૂષિત થવાની શક્યતા વધી જાય છે. આશ્રય-આશ્રયિ: - વળી, પિત્ત ને રક્તનો મળ કડવો છે. રક્ત-લોહીએ પિત્તનું અધિષ્ઠાન છે. એટલે કે લોહીમાં પિત્ત રહેલું હોય છે. એટલે આશ્રય- આશ્રયિ ભાવને લીધે પણ પિત્તથી લોહી વધુ બગડે છે. મોટાભાગના લોહી વિકારના દર્દોમાં પિત્ત વિશેષ કારણભૂત હોય છે. આથી શાસ્ત્રકારોએ લોહી વિકારના રોગોમાં પિત્તશામક તથા વિવેચક ઉપચારો વધુ બતાવ્યા છે. લોહીને વિકૃત સ્વરૂપ આપતી આ સમસ્યાઓ ને નિમૂળ કરવા માટે એક ઉત્તમ ઔષધ યોગ આયુર્વેદમાં પ્રચલિત છે. મજિઠ - 25%, જીરૂ 25% વાવડીંગ - 10%, સોનામુખીના પાન -15%, સાકર -25% ઉપયુર્કત ચૂર્ણાનું મિશ્રણ કરીને ભરી રાખવું રાજે રાત્રે વખતે એક ચમચી આ પાવડર પાણી સાથે ફાકી જવો. જેનાથી સવારે પેટ સાફ આવે છે. મજિઠ, જીરૂ, બંને લોહીને શુધ્ધિ કરનાર ઓષધો છે. વાવડીંગ એ કડવું ઔષધ છે. અને રસાયન છે. જે વાર્ધકય અને રોગો ને રોકે છે. સોનામુખીના પાન વિરેચક છે, જે લોહીમાં ના છૂટાં પડેલાં દૂષિત પિત્તને શરીરની બહાર ફેંકે છે સાકર પિત્તશામક છે અને તેને કારણે આ ચૂર્ણ બાળકો પણ લેવાનું પસંદ કરે છે. લેખક : વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા (આરોગ્યમ્, નવગુજરાત સમય)