શિયાળાની ઠંડી, સૂકું હવામાન, ભેજ વગરની હવામાં વાળમાં ખોડો થવો એ ખૂબ સામાન્ય છે. ઘણા લોકો ખોડાને કારણે ખૂબ અપસેટ રહે છે. જેને અંગ્રેજીમાં ડેન્ડ્રફ-danduff કહેવામાં આવે છે ખોડો એ અસ્વચ્છતાની નિશાની નથી. હા, એ તમને શરમજનક જરૂર લાગે, કારણ કે તમારાં કપડાં પર એ ખરે. ખાસ તો તમે ડાર્ક કલરનાં કપડાં પહેર્યાં હોય ત્યારે એ તરત જ નજરે ચડી શકે છે. એને કારણે આવતી ખંજવાળ પણ રોકવી પડે છે. ફોલ્લી: ખોડાને કારણે પીઢ, ખભા, છાતી પર તેમજ મોં પર ફોલ્લીઓ-ખીલ થઈ શકે છે. મોં પરની ફોલ્લીઓ બધાનું ધ્યાન ખેંચ છે. ખોડો થવાનાં કારણો: વાળને મૂળમાંથી ઓળવામાં ના આવે, એટલે કાંસકો ઉપર ઉપરથી વાળમાં ફેરવીને વાળ ઓળી લેવાની આદત હોય, એટલે વાળના મૂળ પાસેની ચામડીમાં રક્ત પરિભ્રમણ ઓછું થતાં ત્યાં ઓક્સિજનની કમીને કારણે ત્યાંનો સ્થાનિક વાયુ, કફને સૂકવી નાખે છે, જે ખોડોમાં પરિણામે છે. તેલનો અભાવ: માથામાં તેલના નહીં નાખવાની ફેશનને કારણે ચામડીની નીચે આવેલી સ્નેહગ્રંથિઓ પર વિપરીત અસર થતાં તેના સ્રાવમાં નીચે આવેલી સ્નેહગ્રંથિમાં પર વિપરીત અસર થતાં તેના સ્રાવમાં વિષમતા પેદા થાય છે અને ત્વચાની કુદરતી જીવનવિનિમય પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને માથાની ચામડી રુક્ષ બને છે. આ રુક્ષતા વધતાં ચામડીના કોષો મૃત બની જાય છે. આ મૃત કોષો એટલે જ ખોડો. ફૂગ: જે લોકોની રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેમની ત્વચા પર ફૂગનું સંક્રમણ સરળતાથી થઈ શકે છે. આવા લોકોને ઉનાળામાં પણ ખોડો થઈ શકે છે અને શિયાળામાં વધે છે. શુષ્ક ત્વચા: ખોરાકની અનિયમિતા, ઉજાગરા વગેરે કારણોને લીધે જેમની ત્વચામાં તેલી તત્વ ઓછું હોય એવા લોકોને ઝડપથી ખોડો થાય છે અને ખંજવાળ આવે છે. શેમ્પુ: વાળને નિયત સમયાંતરે ધોવામાં ન આવે તો પણ ખોડો વધી શકે છે. કેટલાક શેમ્પુમાંનાં કેમિકલ્સ માથાના વાળની ત્વચાને શુષ્ક બનાવી દે છે. તેના કારણે ફરીથી ખંજવાળ અને ખોડો પેદા થાય છે. સોરાયસિસ: સોરાયસિસ, ખરજવું કે ચામડીના અન્ય રોગો ધરાવતા દર્દીને ખોડો અન્ય લોકોની સમખામણી એ ઝડપથી થઈ શકે છે. ખોડાની સારવાર લાંબા સમય સુધી નહીં કરાવનારને સોરાયસીસ થવાની સંભાવના રહે છે. સ્ટ્રેસ: સ્ટ્રેસના કારણે તમારા શરીરના અંત: સ્ત્રાવોમાં અસંતુલન થવાથી વાયુ વધે છે, જે ખોડોને વધારી શકે છે. ખોરાક: સ્નેબ પદાર્થો-તૈલી પદાર્થોના અભાવમાં, ઝિન્ક, વિટામિન-B, વિટામિન-C વગેરેના અભાવને કારણે શરીરમાં ખોરાકનું પાચન બરાબર ન થવાથી કફ કે વાયુ બને છે. જે ખોડો થવામાં કારણભૂત દોષો છે. ઉપચારક્રમ: ગંધક+ગેરુ: શુદ્ધ ગંધક પાંચ ગ્રામ, શુદ્ધ ગેરિક દસ ગ્રામ લઈ બંનેનું મિશ્રણ કરવું. કુલ પંદર ગ્રામની નાની ૩૦ પડીકીઓ બનાવવી. તેમાંથી રોજ એક પડીકી સવારે અને એક સાંજે ઘી અને સાકર સાથે મેળવીને લેવી.ગંધક અને ગેરિકના સંમિશ્રણથી ચામડીથી જીવનવિનિમય-Metabolism ની પ્રક્રિયામાં સુધારો આવતાં વાળના મૂળમાં રહેલી સ્નેહગ્રંથિઓના સ્રાવની વિષમતા ઘટે છે, પરિણામે ફૂગ, ખોડો અને ખંજવાળ દૂર થાય છે. શુદ્ધિ ચૂર્ણ: શરીરની શુદ્ધિ કરીને સ્નેહગ્રંથિઓના સ્ત્રાવમાં વિક્ષેપ ઊભો કરતાં વિષાક્ત તત્વોને શરીરની બહાર ધકેલનાર ચૂર્ણ. સાકર, જીરૂ, મજીઠ, વાવડિંગ, સોનામુખીનું સરખા ભાગે મિશ્રણ બનાવીને રાત્રે સૂતી વખતે એક ચમચી લેવાથી પેટ પણ સાફ આવે છે અને આ મિશ્રણ લોહીની પણ શુદ્ધિ કરનાર છે, માટે ખીલ, સોરાયસિસને મટાડે છે. હેરઓઈલ: ભૃંગરાજ, ગળીનો છોડ, આમળાં, બહેડાં, બ્રાહ્મીના ઉકાળાને શુદ્ધ કોપરેલમાં ઉકાળીને તેલ બનાવવું. એક કિલો કોપરેલમાં 50ગ્રામ ગાયનું ઘી ઉમેરવું. ભૃંગરાજ અને ગળી વાળ સફેદ થવાની પ્રકિયાને ધીમી પાડે છે. આમલાં, બહેડાં, બ્રાહ્મી વાળના મૂળને પોષણ પૂરું પાડે છે. આ બધી ઔષધિઓના સમન્વયથી તૈયાર થયેલા તેલને માથામાં, વાળના મૂળ પાસે મસાજ કરવાથી ચામડીનાં છિદ્રો ઠંડી - સૂકી હવામાં સંકુચિત થતા નથી. જેથી માથાની ચામડી સુંવાળી મુલાયમ રહે છે અને ખંજવાળ કે ખોડો થતાં નથી. વાળમાં તેલના નાખવાની ફેશનથી ચામડી ડ્રાય થતાં ખોડો થાય છે. વાળ નિસ્તેજ બને છે અને વાળનો ગ્રોથ થતો નથી. હેર વોશ: અરીઠા-૧ ભાગ, આમળા-૧ ભાગ, શિકાકાઈ-૨ ભાગ, જેઠીમધ-૧/2ભાગ આ પ્રમાણથી મિશ્રણ કરેલા અધકચરા ભૂકાને રાત્રે પાણીમાં પલાળીને સવારે ઉકાળી નાખવું. આ ઉકાળાથી અઠવાડિયામાં બેથી ત્રણવાર વાળ ધોવા.અરીઠાં ફીણ આપનાર તત્વ છે. આમળા વાળ માટે ઉપયોગી છે અને વિટામીન-Cની પ્રચૂર માત્રા ધરાવતું હોઈ ચામડીને કોમળતા આપે છે. શિકાકાઈની વાળમાં રહેલો કચરો-મેલ સાફ થાય છે. જેઠીમધ કેશ્ય એટલે કે વાળ માટેનું પોષક ઔષધ છે. સાવધાન ફટાફટ વાળ ધોવાઈ જાય એવી મનોવૃત્તિને કારણે હવે લોકોને ઉપયુક્ત રીતથી હેરવોશ કરવાનો કંટાળો આવે છે. પરંતુ હાર્ડ કેમિકલ્સવાળા એન્ટીડેન્ડ્રફ કે એન્ટી ફંગલ શેમ્પુઓમાં વપરાતુ સિલેનિયમ સલ્ફાઈડ આંખના રોગ પેદા કરી શકે છે અને વાળના કુદરતી રંગને હાનિ પહોંચાડે છે. અનુભૂત: ઉપરાંત આ કેમિકલ્સના સતત ઉપયોગથી ખરી ગયેલા વાળ ફરીથી કુદરતી રીતે ઊગી શકતા નથી. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com