આપણા દેશની પ્રાચીન સંસ્કૃતિમાં પ્રકૃતિનું ઘણું મહત્વ હતું, માનવીની સાથે જ પ્રકૃતિ સંકળાયેલી છે. પાણી, હવા, જળ, આકાશ, પૃથ્વી આ પંચતત્વો કહેવાતા હતા. વિજ્ઞાનની દ્રષ્ટિએ તત્વો નહોતા પરંતુ માનવી જેના વગર રહીં શકે નહીં, જીવી શકે નહીં તે માટે તે પંચમહાભૂત તત્વો તરીકે ઓળખાતા. ધીરે ધીરે વિજ્ઞાનનો વ્યાપ વધ્યો તેથી માનવી કુંજરા બનવા લાગ્યો, જરુરીયાત કરતા પણ વધુ મેળવવાની દોડમાં તેમણે પ્રકૃતિનો પણ વિચાર કર્યો નહી. ઉપભોકતાવાદ વધ્યો, તેમજ વાપરો ને ફેંકી દો તે પ્રકારની સંસ્કૃતિ વધતી ગઇ તેને કારણે માનવીના જીવનમાં મોટુ પરિવર્તન આવ્યું, આખી જ જીવનશૈલી જ બદલાવા લાગી તેને કારણે પ્રકૃતિ સાથે જે માનવીનો તાલમેલ હતો તે રહ્યો નહીં તેને કારણે આજે પર્યાવરણની વિવિધ સમસ્યાઓનું સર્જન થયું. વાતાવરણમાં અચાનક બદલાવ આવવા લાગ્યા, તોફાનો, વાવાઝોડા, ધરતીકંપ, અતિવરસાદ તો કોઇ જગ્યાએ વરસાદ જ નહીં, કૃષિ ક્ષેત્રે અચોકકસતા આવતી ગઇ, ઔઘોગિકરણ વધ્યું, તેને કારણે પ્રદૂષણો સર્જાયા આજે સમગ્ર વિશ્વ તે અંગે ચિંતિત છે. એટલું જ નહીં તેની સાથે વિવિધ રોગોનો ફેલાવો વધ્યો, મેલેરિયા, એઇડ્સ, ઇન્ફ્લૂએન્ઝા, કોલેરા, ડેંગ્યુ, અને કાલા આઝાર જેવા રોગોનો વ્યાપ વધ્યો. જીવનશૈલી બદલાતા આહારમાં પણ બદલાવ આવ્યો, જંકફૂડ, ફાસ્ટફૂડ લેવાનું વધ્યું, તેને કારણે બ્લડપ્રેસર, ડાયાબિટિસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું, બેકાબુ જીવન બન્યું, આવા તો ઘણા કારણો આપી શકાય. ભારતીય સંસ્કૃતિમાં આહારનું ઘણું મહત્વ હતું. ‘જેવું અન્ન તેવો ઓડકાર‘ આવી કહેવત હતી, ઉપરાંત પહેલું સુખ તે જાતે નર્યા, તેના કારણોમાં સમતોલ અને સાદો આહાર હતું, લીલા શાકભાજી ફળોનો ઉપયોગ વધારે હતો, તેમજ જયારે ખોરાક રાંધવામાં આવતો ત્યારે તેમાં વપરાતા મરી-મસાલા પણ એટલા જ ઉપયોગી હતાં રસોઇમાં વપરાતા રાઇ, જીરુ, હળદર, મરચાનો ભૂક્કો, હિંગ, તમાલપત્ર, બાદીયા, મેથી, તજ, લવિંગ, લાલ મરચા, મરી અને મીઠા લીમડાનો ઉપયોગ થતો, આયુર્વેદની દ્રષ્ટિએ દરેકમાં વિવિધ પ્રકારના ગુણ છે. કેટલાક ભૂખને ઉતેજીત કરે કેટલા પાચન કરે તો કેટલાક શરીરને જોઇતા દ્રવ્યો પૂરા પાડે. ભારતીય આહારમાં કઢીનું ઘણુ મહત્વ છે. કઢીમાં મીઠા લીમડાનો ઉપયોગ ખાસ કરવામાં આવે તે ઉપરાંત દાળ વગેરેમાં ખાસ પ્રકારની સુગંધ માટે આનો ઉપયોગ ખાસ થાય છે. મીઠા લીમડાને દક્ષિણ ભારતની સુગંધ કહેવાય છે. દક્ષિણ ભારતમાં જે આહાર લેવાય છે જેમ કે મસાલા ઢોસા, સંભાર, રસમ, ટોપરાની ચટણી, મેંદુવડા, આવી તો ઘણી વાનગીઓમાં મીઠા લીમડાનો ખૂબ જ ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતની સુગંધ એટલે મીઠો લીમડો. મીઠા લીમડાનું વાનસ્પિત નામ મ્યુરાપા કોઇનીગિઇ, બંગાળીમાં બારસુન્ગો, ગુજરાતીમાં મીઠો લીમડો, હિન્દીમાં મીઠા નીમ, કારિપતા, કાટનીમ, કન્નડમાં કારિબેવ્યુ, મલયાલમમાં કારીયેલા, મરાઠીમાં કારીવાડ, કારચીપતા, ઉરીયામાં બાસાન્સે, પંજાબીમાં બોવાલા, તામિલમાં કારુવેપ્પિલાઇ, તેલુગુમાં કારેપેકુ તરીકે ઓળખવામાં આવે છે. બીજા દેશોમાં પણ તેનો ઉ૫યોગ થાય છે. ડેનીશમાં કરી બ્લેડ, અંગ્રેજીમાં કારીપૌલે, જર્મનમાં કરીબ્લાટર, હંગેરીયનમાં કરી લેવેલેક, ઇન્ડોનેશિયામાં ડૌનકારી, ઇટાલીમાં ફલેગ્લી ડી કાન કહેવાય. તેમજ અન્ય દેશોમાં પણ મીઠા લિમડાનો ઉપયોગ થાય છે. આખી દુનિયામાં આ મીઠા લીમડાના પાંદડાને સૂકવી તેના પાઉડર બનાવીને મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ મીઠા લીમડાની બે જાતો છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસ બીજા પ્રકારના મીઠા લીમડાનો ઉપયોગ થાય છે. મીઠો લીમડો ભારતમાં ઘણી જગ્યાએ થાય છે. તમિલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વિશેષ પ્રમાણમાં થાય છે. મીઠા લીમડાના પાંદડામાંથી જે સુગંધ આવે છે તેમાં ઘણા કાર્બનિક દ્રવ્યો રહેલા છે તેમાં ખાસ પ્રકારનું તેલ હોય છે તેમાં બીટા-બિસાબેલેની, બીટા-કાર્યાફિલીન, બીટા-એલીમીને, બીટા-ગુર્જુનીન, વીટા-ફિલેડ્રેનીન, બીટા-પાઇનીન, બીટા-ટ્રાન્સસોકીમીન, બીટા-થાઇનીન, આલ્ફા-સેલિનીન, ભારતમાં મૈસૂર ખાતે આવેલી સીએફટીઆરઇ સંશોધન સંસ્થા દ્વારા તેના તેલમાંથી આલ્ફા પાઇનીન મેળવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં મોનો તેમજ સેકવીટર્પીન્સ રહેલા છે. વધુમાં કેલ્શિયમ તથા વિટામીન બી તેમાંથી મળે છે. તેમજ તેમાં પ્રોટીન, ચરબી, શર્કરા, સ્ટાર્ચ વગેરે પણ છે. મીઠા લીમડામાં એમિનો એસિડ રહેલા છે પરંતુ તે સૂકાતા તેનું પ્રમાણ ઘટી જાય છે તેથી તાજા મીઠા લીમડાનો ઉપયોગ રસોઇમાં કરવો જોઇએ. ઘણા ફ્રિઝમાં રાખી મૂકે છે પરંતુ દરરોજ તાજો મીઠો લીમડો મળતો હોય તો તેનો ઉપયોગ કરવો જોઇએ. પ્રાચીન સાહિત્ય જોતા નલના પાકશાસ્ત્રમાં કૈડર્પનો ઉપયોગ ખૂબ છૂટથી થયો છે. મીઠા લિમડાના પાન સ્વાદમાં કંઇક તીખા – કડવા - તૂરા લાગે છે. મીઠો લીમડો તાસીરે ઠંડો છે. ફોસ્ફરસ, લોહતત્વ પણ છે. મીઠા લીમડાની વિશિષ્ટતા ઘણી છે તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. ખોરાકનું પાચન કરાવે છે. વાયુ પિત અને કફના વિકારોમાન તે ઉપયોગી છે. આ લીમડાનો ઉપયોગ ઔષધ તરીકે ઓછો પણ આહારમાં વધુ ઉપયોગ થાય છે. ગુજરાતમાં ખાસ પરંતુ દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ વ્યાપક છે. આથી તેને ‘દક્ષિણની સુગંધ‘ તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં થોડી વિશિષ્ટતા લીમડાના પાનમાં જાણવા મળેલ છે. ઝેરી જનાવરો કરડયા હોય તો તેમાં ફાયદાકારક છે. મીઠા લીમડાના મૂળનો રસ પીવાથી કિડનીના દુઃખાવામાં રાહત થાય છે. તાજા પાંદડામાંથી મળેલ નિષ્કર્ષણનો પ્રયોગ ગ્વાએન પીગ ઉપર કરવામાં આવેલ તેમાં જાણવા મળ્યું છે કે તે ફાગોસાઇટ ઇન્ડેકસમાં વધારો કરે છે. મીઠા લીમડાના પાંદડા, તેની છાલ તેમજ મૂળમાંથી સ્ક્રૂટીકમય ગ્લુકોસાઇડ મળે છે જેનું નામ કોઇનીજન છે. મીઠા લીમડાના લાકડાના વિવિધ ઉપયોગો જાણવા મળ્યા છે. આ રીતે કુદરતમાંથી મળતા મીઠા લીમડાના ઘણા ઉપયોગ છે. આ રીતે કુદરત આપણને કુદરતી રીતે પોષણ આપે છે જેથી આપણુ સ્વાસ્થ્ય સારૂ રહે, હવે આપણે વિચારવાનું છે કે આપણે કેવી જીવનશૈલી અપનાવવાની છે. ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન