<div id="MiddleColumn_internal" style="text-align: justify; "><ol> <li>અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી શુળ મટે છે.</li> <li>આમલીના ઝાડની છાલનું ચુર્ણ અથવા તેના ઝાડની છાલની રાખ ગરમ પાણીમાં મેળવીને પીવાથી શુળ મટે છે.</li> <li>જીરુ, હીંગ અને સીંધવની ફાકી મધ તથા ઘી સાથે (મધ કરતાં ઘી બમણું લેવું) અથવા માત્ર ઘી સાથે લેવાથી શુળ મટે છે.</li> <li>દ્રાક્ષ અને અરડુસીનો ઉકાળો પીવાથી શુળ મટે છે.</li> <li>મોટું ભુરું કોળું છાલ સાથે કાપી નાના ટુકડા કરી સુકવવા. સુકાયા બાદ માટીના વાસણમાં ભરી, સરખું ઢાકણ ઢાંકી, કપડમાટીથી મોઢું બંધ કરવું. પછી ધીમા તાપે ૧૫ મીનીટ સુધી ગરમ કરવું. એકાદ કલાક પછી વાસણ ઠરે એટલે બળેલા કકડા ખાંડી ભસ્મ બનાવી કોરી શીશીમાં સજ્જડ બુચ મારી ભરી લેવી. ૨ ગ્રામ ભસ્મ સુંઠના ચુર્ણ સાથે દીવસમાં ત્રણ વાર પાણીમાં ફાકવાથી પેટ, છાતી, પાંસળી કે શરીરના કોઈ પણ ભાગનું ભયંકર અસાધ્ય શુળ મટે છે.</li> <li>લસણની ચટણી ઘીમાં મેળવી ખાવાથી શુળ મટે છે.</li> <li>વાયુ પ્રકોપને લીધે શરીરના કોઈપણ ભાગમાં શુળ થતું હોય તો સરગવાનો ફાંટ હીંગ અને સુંઠ મેળવી પીવાથી મટે છે.</li> <li>સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી શુળ મટે છે.</li> <li>સુંઠ, સાજીખાર(સોડીયમ બાઈ કાર્બોનેટ-ખાવાનો સોડા) અને હીંગનું ચુર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારનાં શુળ મટે છે.</li> <li> હીંગ તથા સુંઠ નાખેલું તેલ શુળ પર ચોળવાથી જલદી ફાયદો થાય છે.</li> <li>પાણીવાળા નાળીયેરમાં ઉપર છેદ કરી તેમાં મીઠું ભરી બહાર માટી ચોપડી છાણાના દેવતામાં પકવી કોપરાનું ચુર્ણ બનાવી ખાવાથી દરેક પ્રકારનાં શુળ મટે છે.</li> <li>ગરમ પાણીમાં એકબે તોલા એરંડીયું પીવાથી આંતરડાનો મળ સાફ થઈ શુળમાં રાહત થાય છે.</li> <li>સુંઠ, સીંધવ અને હીંગ વાટીને પાણી સાથે લેવાથી પેટના શુળમાં લાભ થાય છે.</li> <li>રાઈ અને ત્રીફળાના ચુર્ણને મધ અને ઘી સાથે (મધ કરતાં ઘી બમણું) લેવાથી બધા પ્રકારના પેટના શુળમાં લાભ થાય છે.</li> <li>લીંબુના રસમાં મધ અને જવખાર મેળવી ચાટવાથી શુળરોગ મટે છે.</li> </ol> ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.<br /> સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ</div>