આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિના ચાર મુખ્યવેદો છે. તેમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. આયુર્વેદ : અથર્વવેદમાં ઘણી ઔષધિઓ અને ઘણા રોગો વિષેનાં વર્ણનો અને તેના ઉપચારો જોવા મળે છે. અર્થવેદના એક વર્ણન પ્રમાણે જમદગ્નિ નામના ઋષિએ તેમની દીકરીના ટૂંકાવાળનો ઉપચાર કર્યો હતો. તેના વાળ માત્ર ‘દ્વય અંગુલ’ એટલે કે માત્ર બે આંગળી જેટલા જ હતા. પરંતુ કેટલાક વનસ્પતિઓના રસનું સિંચન માથામાં કરીને એ બે આંગળ જેટલા વાળને ‘વ્યામ’ એટલે કે લગભગ ત્રણેક ફૂટ જેટલા લાંબા કર્યા હતા. આમ, વેદકાલીન સંહિતાઓમાં શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સૌંદર્ય વધારવાના ઘણા ઉપચારો જોવા મળે છે, જેમ કે - આંખી નીચેનાં કાળાં કુંડાળાં: આંખ નીચેનાં કાળાં કુંડાળાંની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આવી રીતનાં કાળાં કુંડાળાં થવા પાછળ ઘણાં કારણો છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓને શરીર ધોવાવું અને લોહીની ઓછપ વધારે કારણભૂત હોય છે. એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૯૦ ટકા સ્ત્રીઓ લોહીની ઓછપ (એનિમિયા)થી પીડાય છે. પૂરતા પોષક આહારનો અભાવ પણ એક મુખ્ય કારણ છે.એનિમિક સ્ત્રીઓને પગની પિંડીમાં કળતર, અશક્તિ, થાક, અંધારાં કે ચક્કર આવવાં, વાળ ખરી જવા વગેરે લક્ષણો એક સાથે અથવા વધતા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે.આ ઉપરાંત આંખ નીચેનાં કાળાં કુંડાળાં થવા પાછળનાં અન્ય કારણોમાં ઉજાગરા, હતાશા (ડીપ્રેશન) અને જાતીય સુખની અતૃપ્તિ પણ હોય છે. સારવાર : લોહાસવ અને દ્રાક્ષાસવ માંથી બે-બે ચમચી દવા લઈ તેમાં એટલું જ પાણી ઉમેરીને બે ટાઈમ જમ્યા પછી લેવું. આનાથી ભૂખ સારી લાગશે અને રક્તકણોમાં ક્રમશ: વધારો થતાં આંખનાં કુંડાળાં ઘટશે. શિયાળાની સિઝનમાં આમળાનો રસ એક-એક ચમચી પીવાનો રાખવો. ખીલ પછીના ખાડા અને કાળા દાગ : ખીલની ફોડલીને દબાવવાથી એની અંદરથી સફેદ કણી જેવો પદાર્થ નીકળી જતો હોય છે, જેનાથી ખીલ મટી જાય છે અથવા તો વધારે પ્રમાણમાં વકરે છે. આ રીતે કરવાથી ઘણીવાર ખીલની જગ્યાએ ખાડો પડી જાય છે. આવું વધુ વાર થવાથી ચહેરાની કોમળ-કોમળ ત્વચા તેની સુંદરતા ગુમાવીને ઊંચી-નીચી થઈ જાય છે. ફોડલીને વધારે દબાવવાથી એ ભાગની સૂક્ષ્મવાહિનીઓ તૂટી જાય છે. એમાંથી રક્તનો સ્રાવ થાય છે. એમાંનું કેટલુંક લોહી છિદ્ર વાટે બહાર નીકળે છે અને કેટલુંક ચામડીના પડ નીચે પ્રસરે છે, જે સમયાંતરે કાળું પડી જાય ત્યાં કાળો ડાઘ થઈ જાય છે. ચહેરા પરની કાળાશ : આચાર્ય ચરક આ સમસ્યા માટેની આંતરિક પ્રક્રિયા વર્ણવતાં કહે છે કે જેનું પ્રકૃપિત થયેલું પિત્ત રક્તને મળીને સૂકાઈ જાય છે, એને કોઈ પ્રકારની વેદના વગરના કાળા ડાઘ થાય છે. ચહેરા પરના કાળા ડાઘ તાપમાં વધારે ફરવાથી, માસિક મોડું આવે તો અને માસિકની અનિયમિતતાથી વધતા હોય છે. અકાળે કરચલીઓ : Wrinles : ચામડી પર નાની ઉંમરે કરચલીઓ પડી જતી હોય છે, જે સૌંદર્ય બાધક છે. કુમકુમાદિ તેલ : કુમકુમ એટલે કસર જેમાં મુખ્ય ઔષધ છે, તેવું કુમકુમાદિ તેલ. તેનું હળવા હાથે રોજ માલિશ કરવાથી આંખ નીચેનાં કાળાં કુંડાળાં, ખીલ પછીના કાળા ડાઘ, ચહેરા પરની કાળાશ ઉપરાંત ચામડી પર અકાળે પડતી કરચલીઓ દૂર થાય છે. કેટલાક લેપ : વડના અંકુશને મસૂરની દાળ સાથે વાટી લેપ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થાય છે. અર્જુન ચૂર્ણને દૂધ સાથે લસોટી રોજ તેનો લેપ કરવામાં આવે તો ચહેરો ઉજળો અને ત્વચા ચમકદાર બને છે. સૌંદર્યવર્ધક સૂચનો : જેને કારણ સૌંદર્યમાં ઉણપ આવે છે તેવાં કારણોથી દૂર રહેવાથી સુંદરતા વધે છે અને દીપી ઊઠે છે, જેમ કે - ઉજાગરા ન કરવા - યુવાવસ્થામાં કરેલા ઉજાગરા ઝડપથી ઉંમર વધારનારા ચિહ્નોને પ્રગટ કરે છે. દિવસે ઊંઘવું નહીં. રાત્રે મોડા ના જમવું, જમ્યા પછી વારંવાર ના ખાવું. તાજો, સાત્વિક અને તમારી પ્રકૃતિને અનુકૂળ આવે તે ખોરાક ખાવાનો આગ્રહ રાખવો. ઋતુ પ્રમાણે જ ફળો ખાવાં. જમવામાં તલનું તેલ અને ગાયનું ઘી શ્રેષ્ઠ સ્નેહ - ચરબી છે. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com